મિત્રો હાલ આપણે જોઈએ છીએ કે સ્ત્રીઓની સ્થિતિ આજના સમયમાં ખુબ જ સારી છે. હજુ અમુક એવા વિસ્તારો અને જગ્યાઓ પર સ્ત્રીઓને પરંપરાનો સામનો કરવો પડે છે. પરંતુ તેમ છતાં હવે સમાજમાં સ્ત્રીઓ પર પહેલાંના સમય કરતા અત્યાચારો નહીવત થઈ ગયા છે. આજે સ્ત્રીઓ ખુબ જ સ્વતંત્ર છે. કેમ કે આજે સરકારથી લઈને કાનુન વ્યવસ્થામાં પણ સ્ત્રીઓને મહત્વનો ભાગ આપવામાં આવે છે. આજે નારી સ્વતંત્ર બની છે.
પરંતુ આજના મુકાબલે 18 મી સદીમાં સ્ત્રીઓની સ્થિતિ કેવી હતી તેના વિશે આ લેખમાં અમે તમને જણાવશું. આમ જોઈએ તો એ સમય સ્ત્રીઓ માટે ખુબ જ કષ્ટદાયક જ હતો. એ સમયની વાત કરવામાં આવે તો અમુક જગ્યાઓ પર સ્ત્રીઓ પર એટલું બંધન હતું કે, સ્ત્રી એક પાપ છે એ સમાન તેને રાખવામાં આવતી. તો ચાલો જાણીએ 18 મી સદીમાં સ્ત્રીઓની સ્થિતિ કેવી હતી.
આજના મુકાબલે 18 મી સદીની વાત કરીએ તો મહિલાઓને 18 મી સદીમાં કોઈ પણ પ્રકાર અધિકારો પ્રાપ્ત ન હતા. એ સમયે પિતાની સંપત્તિ પર માત્ર પુત્રનો જ અધિકાર હતો, પુત્રીનો અધિકાર ન હતો. મહિલાઓને કોઈ પણ સંપત્તિથી વંચિત રાખવામાં આવતી હતી.
18 મી સદીના સમયમાં બાળ વિવાહનું પ્રચલન આખા દેશમાં હતું. દરેક જગ્યાએ લોકો બાળ વિવાહ કરાવતા હતા. નાની નાની છોકરીઓના લગ્ન કરાવી દેવામાં આવતા. એટલી નાની ઉંમરમાં લગ્ન કરાવવામાં આવતા હતા કે એ ખબર પણ ન હોય કે લગ્ન એટલે શું કહેવાય. આ ખુબ જ મોટો અત્યાચાર હતો. તેમજ પુરુષો એક કરતા વધારે લગ્ન કરી શકતા હતા, પરંતુ સ્ત્રીઓ પાસેથી માત્ર એક જ અપેક્ષા રાખવામાં આવતી હતી કે, તે માત્ર પત્ની અને માતાની ભૂમિકાઓ નિભાવે અને નિસ્વાર્થ ભાવે બધાની સેવા કરે.
મહિલાઓ એ સમયે શિક્ષાથી બિલકુલ વંચિત હતી. એ સમયે લોકોમાં એવી ગંભીર અને વાહિયાત માન્યતા હતી કે, જો મહિલાઓ વધારે અભ્યાસ કરી લે તો ખુબ જ જલ્દી વિધવા થઈ જશે. આ કારણે તેને શિક્ષાથી વંચિત રાખવામાં આવતી હતી અને માત્ર ઘર કામના અધિકારો આપવામાં આવતા.
સતી પ્રથાનું પ્રચલન એ સમયે ખુબ જ જોરશોરમાં હતું. આ પ્રથામાં પતિનું મૃત્યુ કોઈ કારણવશ થયું હોય તો તેની પત્નીએ પતિની ચિતામાં જીવતા સળગીને પોતાની આહુતિ આપી દેવાની. ક્ષત્રિયો શહીદ થયા હોય તેની પાછળ તેની પત્ની સતી થતી હતી, પરંતુ સમાજની ઘણી અન્ય મહિલાઓ પોતાની સ્વેચ્છાએ સતી ન થતી. તેને નશો કરાવીને પણ સતી કરવામાં આવતી હતી. જે ખુબ જ દુષ્ટ કૃત્ય કહેવાય.
પરંતુ જે સમાજમાં સતી બનવાની પ્રથા ન હતી, તેમાં સ્ત્રીનો પતિ મૃત્યુ પામે ત્યાર બાદ વિધવા સ્ત્રીનો સમાજ બહિષ્કાર કરતો હતો. એ સમયે કોઈ વિધવા સ્ત્રી કોઈ પૂજા અથવા સમાજિક કાર્યમાં શામિલ ન થઈ શકે. તેમજ કોઈ રંગીન કપડાં પણ પહેરી ન શકે. પતિના ગયા બાદ વિધવા સ્ત્રીએ તેના બધા જ સુખનો ત્યાગ કરવો પડતો હતો. માત્ર પોતાના પતિના પરિવાર અથવા તો ભાઈના પરિવારમાં રહીને જ પરિવારની સેવા કરતી હતી.
18 મી સદીમાં મોટાભાગની મહિલાઓને ઘરની બહાર નીકળવાની છૂટ ન હતી. પરંતુ સમાજમાં શ્રમિક પરિવારોની મહિલાઓ માત્ર ખેતરોમાં જઈને કામ કરી શકે એટલી છૂટ હતી. મહિલાઓને અન્ય પુરુષો સાથે મળવા દેવામાં ન આવતી.
કોઈ છોકરીના લગ્ન નક્કી કરવાના હોય તો એ ગામના મુખી દ્વારા નક્કી થતા. જે નિર્ણયને મહિલાઓ કંઈ પણ બોલ્યા વગર સ્વીકારી લેતી હતી. નાની નાની છોકરીઓના લગ્ન મોટી ઉંમરના પુરુષો સાથે કરવામાં આવતા હતા, અને સમય રહેતા પુરુષોનું મૃત્યુ થતું અને અને સ્ત્રીઓ વિધવા થઈ જતી. એટલે કે નાની ઉંમરમાં જ સ્ત્રીઓએ વિધવા થઈનેને સમાજનો બહિષ્કાર સહન કરવો પડતો.